-કલ્પના જોશી
ઘણી વાતોનો કોઇ ઇલાજ જડ્યો જડતો નથી. પછી એ વાતો સંબંધની હોય, સ્વભાવની હોય, આદતની હોય કે બીજી કોઇક હોય. એવી વાતો માટે માથું પછાડવાથી છેવટે શું થાય, તો પોતાને જ પીડા થાય. એક બહેન કહે, ‘અમારા પાડોશી એટલા ઝઘડાળુ છે કે ના પૂછો વાત. આજુબાજુનું કોઇક હડફેટમાં આવે તો એને પણ મણમણની સંભળાવે. સમજાતું નથી એમનાથી છુટકારો મેળવવાનો ઇલાજ શું હોય?’ ઇલાજ એક જ, કાં આ બહેન બીજે ક્યાંક રહેવા જતાં રહે, કાં પાડોશી જતા રહે. બીજો સચોટ ઇલાજ એટલે આ વાતની સદંતર અવગણના કરવી. હા, આ એક ઇલાજ ઘણી વાતમાં અકસીર થઇ શકે. રાજકારણીઓ કાયમ એવું જ કરે. પોતાને ફાવે એ વાતમાં તેઓ ઊંડો રસ લે, ના જોઇતી હોય એ વાતની ઉપેક્ષા કરે. જીવનમાં સુખનાં કારણ વધારવા માટે આવી અવગણનાનું રાજકારણ રમતા આવડવું જોઇએ. જે બદલી શકાતું નથી તેને વિચારને છંછેડતા ચોક્કસપણે રોકી શકાય છે. ભલે આવું કરવું ક્યારેક અયોગ્ય, અણછાજતું અથવા અણગમતું લાગે, તો શું થયું? બીજો ઇલાજ છે યોગ્ય સમયે એવી વાતોનો નિવેડો આવે તે માટે ધૈર્ય રાખવું. જેટલું મનને ખુશ કરે છે એટલું જ વિચારવું અને અમલમાં મૂકવું. બાકીનું બધું ઇશ્વરને આધીન કરીને થઇ જવાનું હળવાફૂલ.


