સન્ડે રણકાર (SUNDAY RANKAAR FOR 29 05 2011)
-સંજય વિ. શાહ
Published in Mumbai Samachar, Asia’s oldest newspaper
વૉરન બફે એટલે દુનિયાના સૌથી શ્રીમંત માણસોમાંના એક. તોય એ માણસ કાર જાતે ડ્રાઇવ કરે છે અને આજે પણ એ નાનકડા ઘરમાં જ રહે છે જેમાં એ વરસોથી રહ્યા છે. સાચો શ્રીમંત કોણ એની વ્યાખ્યા કેવી રીતે નક્કી થાય? કોઈકે કહ્યું છે કે સાચો શ્રીમંત એ નથી જેની પાસે સૌથી વધુ દલ્લો છે પણ એ છે જેની જરૂરિયાતો સૌથી ઓછી છે. હાઉ સ્વીટ!
લાઇફ આજકાલ મળેલી ખુશીઓથી ઓછી અને પામવાની લક્ઝરીઓની હાયવોયથી વધુ ચાલે છે. મલાડમાં પોણાબે કરોડનો ફ્લૅટ છે છતાં એક ફ્રૅન્ડ કહે, હવે થ્રી-બી-એચ કે નાનો પડે છે યાર, એકાદ બેડરૂમ વધારે હોય એવો ફ્લૅટ લઈ લેવો છે, ભલે લૉન કઢાવવી પડે. બોલો, ઘરમાં ખાલી હુતો-હુતી અને એક નાની ટેણી છે તોય એને જગ્યા ઓછી પડવા માંડી છે. એક્ચ્યુલી જગ્યા ઓછી નથી, આંતરિક સુખ ઓછું પડે છે. કોઇકે મોટો ફ્લૅટ લીધો એના જવાબમાં હવે આ ભાઈને મોટી જગ્યા લેવાના ઓરતા થયા છે. બીજું કોઈ કારણ નથી.
પૈસા કમાવાની અને આગળ વધતા જ રહેવાની હાય્વોયે શું કર્યું છે નવી પેઢીને એ કેમ કોઈ સમજતું નથી? નાની ઉંમરે જીવલેણ બીમારીઓ આવે છે, સવાર વહેલી પડે છે અને રાત ચિંતામાં વીત છે, વેકેશન માણવા જાવ તો પણ મોબાઇલ અને ઇન્ટરનેટ કામમાં જ બિઝી રાખે છે અને દરેક દિવસે પાછા જઈને શું કરવાનું એની જ ફિકર રહે છે. ટૂ મચ પ્રૉબ્લેમ.
ડેવિડ બાચને એક શોખ હતો, એ સ્ટડી કરવાનો કે લોકો પૈસાદાર કેમ બને છે. એવું કરીને એ ગરીબોને પ્રોત્સાહિત કરવા માગતો હતો, એ શીખવીને કે પૈસાદાર કેમ બનાય. પણ જેમ જેમ એ ઊંડો ઊતરતો ગયો પૈસાદારોની લાઇફમાં, એને ખબર પડી કે હત્તારીની, આમાંના મોટાભાગના લોકો તો જીવ, મન, આત્મા, જિગર અને વિચારથી છેક કંગાળ છે. એવા પૈસા શા કામના જે બૅન્કમાં વધે અને શૅર્સમાં ઝળકે? એવું ધન શા કામનું જેને વધારવાની એકમાત્ર લાયમાં બુઢ્ઢા થઈ જવાય અને એને ક્યારેય માણી ના શકાય? એવી સમૃદ્ધિ શું કરવી જે મેળવવા માટે અસલ મજાનું બલિદાન દેવું પડે અને છેલ્લે વિચારવું પડે, કેટકેટલાં શોખ અને સપનાંનો ભોગ આપ્યો અહીં સુધી પહોંચવા…
પહેલાં દિલથી જીવો, પછી દીમાગથી કમાવ. પહેલાં માણો, પછી મિલિયોનેર કે બિલિયોનેર થવા જાતને તાણો. મેરેથોનમાં દોડનારેય પાણી પીવા ખમવું પડે અને ગતિ ઓછી-વધારે કરીને બૅલેન્સ જાળવવું પડે. નહીંતર બે-પાંચ કિલોમીટર મારમાર દોડ્યા પછી દમ નીકળી જાય. પૈસાનું સૌથી મોટું સત્ય એ છે કે એ એટલા હોવા જોઈએ જેનાથી સુખી થવાય અને એટલા ના હોવા જોઈએ જેના પાપે સુખી હોવાની ખાલી ભ્રમણા સર્જી શકાય. ડિસાઇડ કરો હવે, કેવા ધનકુબેર છો અને કેવા થવું છે.


