રીડિંગ રૂમ: સંજય વિ. શાહ
Published in Mumbai Samachar, Asia’s oldest newspaper
ઘણી વાર લેખકે મીઠી અને વિચિત્ર મૂંઝવણમાંથી પસાર થવું પડે છે. એનો ખોરાક વાચન હોય અને આજીવિકાનું સાધન લેખન હોય છે. તેથી જ, લેખકે જીવનમાં ઘણી વાર એવા તબક્કા પણ જોવા પડે છે જેમાં એને વાચવા માટે પૂરતો સમય ના મળે લખવાની જવાબદારી અદા કરવા માટે.
ગુજરાતી, મરાઠી રંગભૂમિ પર લેખક તરીકે સક્રિય રાજ પાટીલ પણ આવા અનુભવમાંથી પસાર થતો રહે છે. એના શબ્દોમાં કહીએ તો, ‘‘ક્યારેક એવું થાય કે કોઈક મનગમતું પુસ્તક વાચવાનું માનસિક પ્રયોજન થઈ જાય પણ એને બાજુએ મૂકીને વાચવું કાંઈક બીજું જ પડે.’’ અત્યારે રાજ પુપુલ જયકરે લખેલું પુસ્તક ઈન્દિરા ગાંધી વાંચી રહ્યો છું. એનું કારણ મજાનું છે, ‘‘આની પહેલાં સરદાર અને જીતે એ જૈન જેવા નાટકો લખતી વખતે મેં અનુક્રમે સરદાર પટેલ અને જૈન ધર્મના પુસ્તકોનું ખૂબ વાચન કર્યું છે. હવે ઈન્દિરા ગાંધી જેવા સાંપ્રત ઈતિહાસના મહત્ત્વના પાત્ર વિશેનું વાચન પણ મારી એ દિશાની યાત્રા છે. માતૃભાષાએ મરાઠી અને જીવતરે, અભ્યાસે રાજ ગુજરાતી છે. અમદાવાદમાં એ ભણ્યો અને ઉછર્યો છે તેથી બન્ને ભાષા સાથે તેને લાગણીનો નાતો છે. બેઉ ભાષાનાં પુસ્તકો રસપૂર્વક વાચતો રાજ કહે છે, ‘‘ઉમાશંકર જોશી અને પુ. લ. દેશપાંડે, બેઉને એકસરખા રસ સાથે વાચવાનો લહાવો હું લઈ શકું છું તે મારા માટે અનોખો આનંદ છે. એમાંય ઈતિહાસ મારો પ્રિય વિષય તેથી એનાં પુસ્તકો હું હંમેશાં વાચું. અનુભવે એટલું શીખ્યો છું કે જ્ઞાનની આંખોમાં વાચનનું અંજન કરવાથી મનોરંજન અને સમજણ બેઉની માત્રા વધે. તેથી જ કાં તો મને લખતા રહેવું ગમે કાં વાંચતા રહેવું ગમે.’’ ક્યા બાત હૈ!
Earn upto Rs. 9,000 pm checking Emails. Join now!


