સૌંદર્ય તો માત્ર ત્વચા જેટલે ઊંડ હોય, પણ કદરૂપી ચીજો તો સમગ્ર શરીરમાં પ્રસરી જાય છે. – એડવર્ડ એબી
કોઇકના ચહેરા પર ખીલ આવે તો ડૉક્ટર તરત કહે, ‘‘પેટમાં ગડબડ છે, લોહી ચોખ્ખું કરવાની જરૂર છે.’’ કેવું કહેવાય. રૂપ છલકે ચહેરા પર, તો કહેવાય કેવી સરસ ત્વચા છે. જેવું રૂપ બગડે, અણગમતું થાય તો શરીરનાં આંતરિક સત્યો બહાર આવવા માંડે. ત્યારે છેક ખબર પડે કે આ સૌંદર્ય પાછળ તો એવાં એવાં પરિબળ નિમિત્ત છે જેની ભાગ્યે જ પરવા કરવામાં આવે છે. ફળદ્રુપ જમીનમાં જેવો પાક ઊગી શકે તેવો રણમાં ક્યારેય ઊગે નહીં. વાત ચહેરાની હોય કે ચરિત્રની, તેના સૌંદર્યનું પણ ફળદ્રુપ અને ઉજ્જડ જમીન જેવું જ ખાતું છે. લોકો તમને ચાહે, માન આપે, સન્માને અને તમારી વાત સાંભળે ત્યારે જાણી લેવું કે આ તો આંતરિક સૌંદર્યનું ફળ. સારાં કામ કરી શકો, સુખ અનુભવી શકો અને નિશ્ચિંત રહી શકો, તેના માટે પણ આંતરિક સૌંદર્ય જવાબદાર. આ બધું ના થતું હોય, અસુખ, અભાવ, કંટાળો અને ઉપેક્ષા અનુભવાય અને સહન કરવાં પડે તો જાણી લેવું, આંતરિક બદીઓ દૂર કરવાનો સમય પાકી ગયો છે. કોઇનેય ભાંડ્યા કે દોષ આપ્યા વિના આ કામ જાતે કરતા થઇ જવાનું. ધેટ્સ કરેકટ લાઇફ.


