-કલ્પના જોશી
રોજ સવારે સ્નાન કરીને ચોખ્ખાચટ રહેતા લોકો ક્યારેક મનને પણ સાફસૂથરું કરે છે ખરા? તનને લાગતો કચરો બાહ્ય હોય છે પણ મનને વળગતો ગંદવાડ આંતરિક હોય છે. મનની સાફસફાઈ ના થાય તો શું થાય ધીમે ધીમે એના પર કેટલીયે ગંદકીઓનાં જાળાં ચડી જાય. બાલ્યાવસ્થામાં આવું નથી થતું. બાળકો તેથી જ વર્તન, વાણી અને વિચારથી કાયમ તાજામાજા લાગે. તેમનું મન ખુશીઓને સંઘરે પણ દુઃખને વાળીઝૂડીને ફગાવી નાખે. જે મમ્મીના હાથનો તમાચો ખાઈને બાળકની આંખ લાલમલાલ થાય, એ મમ્મી જો જરાક વહાલ કરે તો બાળકનો ચહેરો ગુલાબી થઈ જાય. બસ, સાફસફાઈ કરી નાખી, જાણે એવું બાળક કહેતું હોય. મનની સાફસફાઈ તો કરવી જ પડે. ઘૃણા, દ્વેષ, ગુસ્સો, વૈમનસ્ય, વિકાર બધાથી એનો નિયમિતપણે છૂટકારો થવો જોઈએ. એ થતો નથી ત્યારે ખાણીપીણીથી માંડીને વાણી સુધી બધે ખામીઓ ઘર કરી જાય અને લોકો કહેતા થઈ જાય, ‘‘બદલવું છે પણ કેવી રીતે?’’ રીત એક જ છે. જાતે બગડ્યા છીએ તો જાતે સુધરવાનું છે. સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંપૂર્ણતા, ત્રણેય પામવા માટે આનાથી આસાન માર્ગ મળવો અશક્ય છે. જો મનને પણ ચોખ્ખુંચટ કરવાની ટેવ પડી તો બધું શક્ય છે.


